લક્ષ્મણપુરાના ખેડૂતને ટામેટાની ખેતીમાં 10 માસમાં 13 લાખ નફો
દિલ્હીના વેપારી ત્રણ-ચાર દિવસે 3000 કિલો ટામેટા પેટીની લઇ જાય છે
પાલનપુર : પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરા ગામના એક ખેડૂતે ત્રણ વીઘામાં ટામેટાનું વાવેતર કરેલ છે. જેમાં તેમને એક વીઘાદીઠ અંદાજે એક લાખ રૂપિયા ખર્ચ થયો છે. જે ટામેટા દિલ્હીના વેપારીને વેચી અત્યાર સુધીમાં તેમણે 11 લાખનું વેચાણ કરી દીધેલ છે અને હજું 3 થી 4 માસમાં રૂ.પાંચ લાખના ટામેટાના વેચાણના અંદાજ સાથે રૂ.16 લાખ જેટલું વેચાણ થવાની સંભાવના છે. જેથી ખેડૂતને 13 લાખ નફો મળે તેમ છે. આમ એક ક્લાસ વન અધિકારીના પગાર કરતાં પણ સારું એવું વળતર આ ખેડૂતે મેળવ્યું છે અને હજુ મેળવશે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યા છે. જેમાં અમુક ખેડૂતો બાગાયતી અને રોકડીયા પાકોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરાના ખેડૂત હિરાભાઇ બેચરભાઇ પટેલે ટામેટાનું વાવેતર કરી અઢળક આવક પ્રાપ્ત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, ‘3 વીઘામાં ટામેટાની ખેતી કરી છે. આમ ત્રણ-ચાર દિવસે દિલ્હીના વેપારીઓ ઘરે આવી લઇ જાય છે. જેમાં 3000 કિલો ટામેટા પેટીઓમાં લઇ જવાય છે. જે અંદાજે 18 થી 22 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. જેમાં એકવીઘા દીઠ વાવણીથી લઇ માંડવા અને વીણવાની મજુરી સુધીનો એક લાખ સુધીનો ખર્ચ થાય છે.
આમ ત્રણ વીઘામાં કુલ ત્રણ લાખ ખર્ચ થશે. જેની સામે અત્યાર સુધીમાં 11 લાખ રૂપિયાના ટામેટા વેચી દિધા છે. જ્યારે હજુ 3 થી 4 માસ સુધી ટામેટાનો ઉતાર આવશે. જેથી હજુ 5 લાખ રૂપિયાનું ઉત્પાદન મળવાની સંભાવના છે. આમ બધુ ગણીએ તો ટામેટાના અંદાજે 16 લાખ રૂપિયા ઉપરાંતની આવક મળી શકે તેમ છે. આથી ટામેટામાં રૂપિયા 13 લાખનો નફો થવાની શક્યતા છે.’ આમ એક ક્લાસ વન અધિકારીના પગાર કરતાં પણ વધુ આ ખેડૂત કમાઇ રહ્યો છે. જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.
No comments:
Post a Comment