
ગુજરાતમાં ખરીફ વાવણીનું કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે. ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે 28મી સપ્ટેમ્બર સુધીમાં ગયા વર્ષની સરખામણીમાં ખરીફ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. 28મી સુધીમાં કુલ 85.04 લાખ હેકટરમાં વાવેતર થઈ ગયું છે, તેની સરખામણીમાં ગયા વર્ષે 85.48 લાખ હેકટરમાં વાવણી થઈ હતી. નબળું ચોમાસું અને અનિયમિત વરસાદના કારણે વાવેતરમાં ઘટાડો નોંધાતા ઉત્પાદન પણ ઘટવાનો અંદાજ છે.
ગયા વર્ષની સરખામણીમાં ચાલુ ખરીફ સીઝનમાં ખાસ કરીને કપાસનો વાવેતર વિસ્તાર કપાયો છે. ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં વાવેતર વિસ્તાર 8 ટકા કપાયો છે. આ અંગે કૃષિ નિષ્ણાત રમેશભાઈ ભોરણિયાનું કહેવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અન્ય પાક તરફ વળતા વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ વરસાદની અનિયમિતતાના કારણે ઉત્પાદનમાં ઘટાડાની શકયતા છે.
મગફળીનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીમાં 6 ટકા વધ્યો છે. નબળા વરસાદના કારણે મગફળીમાં વીઘા દીઠ ઉતારામાં ઘટ પડવાના સંજોગો દેખાઇ રહ્યાં છે.
જ્યારે ગયા વર્ષે ચોમાસું અને ઉનાળું દરમ્યાન કઠોળના ભાવ ટકેલા રહેતા ખેડૂતોએ ખાસ કરીને મગ, મઠ, અડદની મોટાપાયે વાવણી કરી છે. ઉલ્લેખનીય છે કે કઠોળ પાક ઓછા વરસાદમાં થતા હોવાથી ખેડૂતોએ હાલ કઠોળનો પાક લણી લીધો છે. ગયા વર્ષની સરખામણીમાં કઠોળના કુલ વાવેતર વિસ્તારમાં 7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
ત્રીજા રાઉન્ડનો વરસાદ એરંડાના પાક માટે લાભદાયી સાબિત થયો છે. એરંડાનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 6 ટકા વધ્યું છે. એરંડાનો વાવેતર વિસ્તાર વધતા અને ઉત્પાદન સારું આવવાની આશાએ ભાવમાં મોટી તેજીની શકયતા હાલ ઓછી દેખાય રહી છે.
ગવારસીડનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં વધતા પાકને મોટો ફાયદો થવાની શકયતા છે. આમ, ચાલુ ખરીફ સીઝનમાં કપાસ અને તલના ઉત્પાદનને બાદ કરતાં તમામ ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં ગયા વર્ષની સરખામણીમાં 11 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
No comments:
Post a Comment